ગુજરાત, અમદાવાદ 29 મેં 2025: સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી ધ્રુવ એન. પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સાબરમતી રીવરફ્રન્ટ કોર્પોરેશન લી. દ્વારા શહેરની મધ્યમાં આવેલ જીવાદોરી સમાન સાબરમતી નદીને સ્વચ્છ અને નિર્મળ બનાવવા શરૂ કરેલ મહાઅભિયાન અંતર્ગત ક્રેડાઈ નેશનલના પ્રેસિડેન્ટ માનનીય શ્રી શેખરભાઈ પટેલની આગેવાની હેઠળ તેમજ કયુ.સી.આઈના ચેરમેન માનનીય શ્રી જક્ષયભાઈ શાહના સીધા માર્ગદર્શન હેડળ આજ તા. ૨૮-૦૫-૨૦૨૫ના રોજ ક્રેડાઈ અમદાવાદ તથા ક્રેડાઈ અમદાવાદ સી. એસ. આર. ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણને વિપરીત અસર કરતાં નદીના પટમાં રહેલ કચરો દૂર કરી નદીને સ્વચ્છ અને નિર્મળ બનાવવા દ્રઢ સંકલ્પ સાથે શહેરના ૮૦થી વધુ રીયલ એસ્ટેટ વ્યવસાયકારોની સાઈટ ઉપર કાર્યરત શ્રમિકોના સહયોગથી સાબરમતી નદીના આરે આવેલ અટલ ઘાટના વિશાળ પેચ ઉપર આશરે ૨૨૦૦ કરતા વધુ શ્રમિકો સાથે સ્વચ્છતાની કામગીરી આદરી નદીનો કચરો દૂર કરવા તથા પ્રદૂષણ મુક્ત બનાવવા પ્રયાસમાં સહયોગ કરવામાં આવેલ.
નદીના પટમાં રહેલ ઘન કચરો દૂર થાય અને લોકોમાં સ્વચ્છતા બાબતે જન જાગૃતિ કેળવાય તે હેતુને બર લાવવા સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી ધ્રુવ પટેલે ઈચ્છા વ્યકત કરતા જણાવ્યું હતું કે, આપણા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની આપણી નૈતિક ફરજ છે. આથી નદી, રોડ રસ્તાઓ તેમજ જાહેર સંપત્તિઓને આગામી પેઢી માટે વારસા તરીકે સ્વચ્છ અને સુરક્ષિત રાખીએ તેવી જાહેર અપીલ છે.
આ મહાઅભિયાનને સફળ બનાવવા સંસ્થાના હોદ્દેદારશ્રીઓ, ક્રેડાઈ અમદાવાદ યુથવિંગના સભ્યો તથા શહેરના ડેવલપર્સે મોટી સંખ્યામાં જોડાઈને ખૂબજ ઉત્સાહભેર અને અભૂતપૂર્વ શ્રમદાન કરેલ.
વિશ્વની સૌથી લાંબી રીવર ફ્રન્ટ જેવી મહત્વાકાંક્ષી પરિયોજના સાકાર કરવાનો ધ્યેય વાસ્તવમાં સાર્થક બને તે માટે સરકારશ્રી અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રજાલક્ષી અભિયાનોમાં અમારી સંસ્થા સદૈવ પૂરક અને સહયોગી રહી છે અને ભવિષ્યમાં બની રહેશે.