August 3, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

“મારા માટે પાટ,પાટલો,પોથી અને પાટી-આ બધા એક સાથે જોડાય એટલે પ્રવચન શરૂ થાય છે”

મેઘાણીજી ગાંધીજી જેવાનાં કેમિકલ પણ બદલી નાંખે છે.
મેઘાણીની ફોરમ ફોરેનમાં પણ ફરી રહી છે.
આવતિકાલે સાંજે કથા મંડપમાં બાપુ બનશે શ્રોતા

બગસરા ખાતે સાતમા દિવસની કથામાં અહીં યોજાયેલી પ્રવિધિ બાબત બાપુએ પોતાના વિચારો રજૂ કરીને કહ્યું કે મારા માટે પાટ,પાટલો,પોથી અને પાટી-આ બધા એક સાથે જોડાય એટલે પ્રવચન શરૂ થાય છે.એ પછી પરમ પુરુષ, પવનપુત્ર અને પરમાત્મા પ્રભુ મારી પાસે બોલાવે છે. મારી પાસે તો શું શૈલી હોય!શૈલી જોવી હોય તો મેઘાણીજીની છે.

મેઘાણીજી પાસે પાંચ વસ્તુ દેખાય છે:મેઘાણીજી પાસે શબ્દ છે.શબ્દ સ્પર્શ કરે છે,અડે છે.મેઘાણી ગાંધીજી જેવાનાં પણ કેમિકલ પણ બદલી નાખે છે. ‘છેલ્લો કટોરો’ ગાંધીજીએ સ્ટીમરમાં વાંચ્યું અને એના રસાયણો બદલાયા.મેઘાણીનાં શબ્દનો સ્પર્શ રસિક છે.આ માણસે સાહિત્યનો એક પણ રસ છોડ્યો નથી.

આ બધા રસમાં રૂપ છે.મેઘાણીજીના ગ્રંથોમાં ફોરમ એટલે ગંધ પણ છે.એની ફોરમ ફોરેનમાં પણ ફરી રહી છે.
તુલસીજીએ નવ મેઘનું વર્ણન કર્યું છે.નવ વખત મેઘ શબ્દ માનસમાં આવ્યો.મેઘાણીમાં પણ આવા જ નવરસ ‘મેઘવાણી’ બનીને વરસે છે.એ પુણ્યમેઘ છે જે વરસે ત્યારે સુખનો અનુભવ થાય છે.એ છત્ર બનીને છાયામેઘ તરીકે પણ દેખાય છે.
શિવચરિત્રની કથામાં કામ પ્રભાવનું વર્ણન કરી શિવની સમાધિ તૂટ્યા પછી કામ બળે છે અને રતિને વરદાન મળે છે.એ પછી શિવને પરણાવવા માટે તેના ગણો વિવિધ રીતે શિવને શણગારે છે એનું રસિક વર્ણન કરતાં બાપુએ એ શિવ પ્રસંગને ખૂબ લડાવીને શિવની જાન,તેના જાનૈયાઓ અને તેમાં રહેલા ભૂતડાઓની વાત કરી.હિમાચલમાં શિવ-પાર્વતીનાં લગ્ન અને એ પછી પાર્વતીની વિદાયનો પ્રસંગ વર્ણવી આજની કથાને વિરામ આપ્યો.

Box
બાપુની કથા શૈલી શતરરૂપા છે અને નિજી છે.

કથાના આરંભે વ્યાસપીઠ ઉપર એક વિશેષ પ્રકલ્પ યોજાયો હતો.વિવિધ સર્જકોએ પોતાની રચનાઓને ગ્રંથસ્થ કરીને બાપુનાં શુભ હસ્તે લોકાર્પિત અને બ્રહમાર્પિત કરાવી.

‘મેઘવાણી’નાં વાતાવરણમાં બહાદુરસિંહ વાળા કે જેણે બાળ કાવ્યોનો સંગ્રહ ‘કલબલ કલબલિયાં’-જે ડિજિટલ રુપે પણ પ્રસ્તુત છે એ પુસ્તકનું બાપુનાં હસ્તે લોકાર્પણ કરાવ્યું.

‘મેઘાણીનાં પગલે કાઠીયાવાડના કોતરોમાં’-બે ભાગમાં લખાયેલું પુસ્તક રણછોડભાઈ મારુ-કે જે સતત મેઘાણી જેવો વેશ પહેરીને રહે છે,મેઘાણીની લઘુ આવૃત્તિ જેવા દેખાય છે-તેઓએ પણ પોતાનું પુસ્તક બાપુના કરકમળથી લોકાર્પિત કરાવ્યું.

એક વખતના સમર્થ લોક વાર્તાકાર શાણખલીનાં દરબાર પુંજા વાળા,જેના પુત્ર ડો.વિક્રમ વાળા-જે સારા વાર્તાકાર પણ છે અને આકાશવાણીનાં લોકવાર્તાના માન્ય કલાકાર છે-તેણે લખેલું પુસ્તક ‘અલખ આરાધના’ લોકાર્પિત થયું.

ડો.સંજય દવેએ બે પુસ્તકો લખ્યાં:’મેઘાણી લોક સંવેદનાનાં સર્જક’ અને ‘નાટ્ય સંદર્ભ’.આ ઉપરાંત એ ત્રીજું પુસ્તક લખી રહ્યા છે મોરારીબાપુ પર,તેનું શિર્ષક છે:’યુગમૂર્તિ કથાકાર’.જેઓએ પોતાના પુસ્તક બાપુના હસ્તે બ્રહ્માર્પિત કરાવીને પોતાના શબ્દો રાખતા જણાવ્યું કે:બાપુની કથા શૈલી ઉપર પોતાનો કયા પ્રકારનો ભાવ છે.તેમણે કહ્યું કે બાપુ યુગમૂર્તિ કથાકાર છે.જેનું વાચિકમ ૯૦૦ ઉપરાંત કથામાં આપણને દેખાય છે.શૌનક,શુકમુનિ,વાલ્મિકી,વ્યાસ આદિ અનેક કથાકારોની શૈલીમાં ૧૦૦ જેટલી કથા શૈલી અધિકૃત રીતે જેણે નોંધી છે.તેઓએ જણાવ્યું કે બાપુની કથા શૈલી શતરરૂપા છે અને નિજી છે.

માનસ સાતસોથી શરૂ થયેલી કથાઓનું સંકલન અને એની હિન્દી,ગુજરાતી અને અંગ્રેજી આવૃત્તિઓનું પ્રકાશન નિ:શુલ્ક થઈ રહ્યું છે-એ ક્રમમાં અમેરિકાનાં ડેટ્રોઇડ ખાતે ગવાયેલી ‘માનસ આનંદ’ રામકથાનું નીતિનભાઈ વડગામા સંકલિત પુસ્તક બાપુને અર્પણ કર્યા પછી આ પ્રવૃત્તિ વિશે નીતિનભાઈ એ પણ પોતાના બે બોલ રાખ્યા હતા.
કાર્યક્રમનું સંકલન સંચાલન કવિ-ગાયક હરિશ્ચંદ્ર જોષીએ કર્યું.

Box
પચરંગી સમર્થ વક્તાઓ આવતિકાલ-શનિવારે રજૂ કરશે વિશેષ મેઘાણી દર્શન

બગસરાની વ્યાસપીઠના મંચ ઉપર રોજ સમર્થ સાહિત્યકારો અને લોકસાહિત્યકારો તેમજ સર્જકો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે.

આ બધામાં એક વિશેષ પ્રકારનો કાર્યક્રમ આવતીકાલે-શનિવારે સાંજે ૫:૩૦ વાગ્યે કથા મંડપમાં યોજાવાનો છે.

ઝવેરચંદ મેઘાણીને શ્રદ્ધાંજલિ અને સ્મરણાંજલિ આપવા માટે વિશેષ લોકસાહિત્યકારો તેમજ વિશેષ વક્તાઓ-જેમાં રાજકોટના સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા,કવિ ગાયક વિનોદ જોશી,વી.એસ.ગઢવી, ફુલછાબના તંત્રી અને સર્જક-સાહિત્યકાર જ્વલંતભાઇ છાયા તેમજ લલિતભાઈ ખંભાયતા દ્વારા પોત-પોતાના દર્શનો અને પોતાનો ભાવ આવતીકાલે સાંજે મોરારીબાપુની ઉપસ્થિતિમાં સભા મંડપમાં વિશેષ રૂપે પ્રસ્તુત થશે.

પ્રથમ દિવસની કથાથી જ રોજ બાપુ એ વાતને યાદ કરે છે અને દરેકને આ કાર્યક્રમ માટે સાદર આમંત્રણ છે.

Related posts

સેમસંગ ઇન્ડિયાએ Galaxy S25 સિરીઝ લોન્ચ કરી, તમારો ખરો AI સાથીદાર; આકર્ષક ઓફર્સ માટે હાલમાં આગોતરો ઓર્ડર કરો

amdavadlive_editor

TECNO SPARK 50 5G 6500mAhની વિશાળ બેટરી અને મિલિટરી ગ્રેડ ડ્યુરેબિલીટી સાથે લોન્ચ થયો

amdavadlive_editor

હેવમોર આ ક્રિસમસ સિઝનમાં લિમિટેડ પીરિયડ માટે ભારતની પહેલી પ્લમ કેક આઇસ્ક્રીમ કેકને ફરીથી લાવે છે

amdavadlive_editor

Leave a Comment