27 C
Gujarat
September 20, 2024
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વિશ્વ શાંતિ વિશ્વબંધુત્વ માટે સ્થાપિત સંયુક્ત રાષ્ટ્ર મહામથક(યુનો)-ન્યૂયોર્ક અમેરિકા ખાતે ઐતિહાસિક ગણી શકાય એવી ૯૪૦મી રામકથાનાં આરંભ.

આ કથા કોઈ વિક્રમ સ્થાપવા કે કોઈ વિશેષ લક્ષ્યએ પહોંચવા માટે નથી,કોઈ રેકર્ડ બનાવવા કે કોઈ રેકોર્ડ બુકમાં નામ લખાવવા માટે પણ નથી.
“ટેલ વિન્ડ હોય તો વિમાન જલ્દી પહોંચે છે,અમારી પાછળ પવન તનય એ ટેલ વિન્ડ છે,એની કૃપાનું આ પરિણામ છે,અસ્તિત્વની કૃપા છે.”
બાપુએ કહ્યું:સિદ્ધિ તો મળશે જ પણ મારે શુદ્ધિ જોઈએ છીએ,મને શુદ્ધિની સિદ્ધિ આપો!
પહેલા રમાબહેન પરિવાર દ્વારા સ્વાગત થયું,આ સમગ્ર કથા આયોજન માટે મહામંત્રી લી હેડન,તેની ટીમ તેમજ યુગાન્ડા મિશનને આભાર અને ધન્યતા અપાયા,એ પણ કહેવાયું કે આ કોઈ રીતે શક્ય ન હતું,માત્ર બાપુની કૃપાથી આ શક્ય બન્યું.
ઉત્તરકાંડમાંથી લીધેલી બે પંક્તિઓ સાથે કથા આરંભ કરતા બાપુએ કહ્યું કે:પોથીના પરતાપે ક્યાં ક્યાં પુગિયા! પરમાત્માની કૃપાથી વિશ્વ સંસ્થાની આ બિલ્ડિંગમાં રામકથાના અનુષ્ઠાનો અવસર મળ્યો એ માત્ર,માત્ર અને માત્ર પરમાત્માની કૃપાનું પરિણામ છે. બાપુએ યાદ કર્યું કે જ્યારે ખૂબ શરૂઆતમાં અમેરિકા કથાયાત્રા પર હતો ત્યારે સ્વાભાવિક મનમાં થયું કે યુનોની આ બિલ્ડિંગમાં માળા ફેરવતા-ફેરવતા એક પરિક્રમા કરવી,મંજૂરી મળી.એ પછી રશિયામાં પણ શિવ પ્રેરિત વિચાર આવ્યો ક્રેમલિનની પરિક્રમા કરું, ત્યાં પણ મંજૂરી મળી.પછી વોશિંગ્ટનમાં ચંદ્રકાંતભાઈ પટેલને કહીને વ્હાઈટ હાઉસની પરિક્રમાની ઈચ્છા પણ પૂરી થઈ.અહીં પરિક્રમા કરતી વખતે વિચાર ન હતો કે કથા અહીં લાવશે,પણ સ્વયં કથાને એ ખબર હતી! દુનિયાના અનેક દેશોના નેતાઓ મળીને જ્યાં શાંતિની ચર્ચા કરે છે એ યુનોના ચાર સૂત્ર,જેનો વિસ્તાર કરીને સત્તર સૂત્ર બન્યા છે એની વાત પણ કરશું.
હજારો ફ્લાવર અને ભારત આધ્યાત્મક જગત અને સમગ્ર ભારત વર્ષનાં આશીર્વાદ લઇને આજે અહીં આવ્યા છીએ.
બાપુએ કહ્યું કે:આ કથા કોઈ વિક્રમ સ્થાપવા કે કોઈ વિશેષ લક્ષ્યએ પહોંચવા માટે નથી,કોઈ રેકર્ડ બનાવવા કે કોઈ રેકોર્ડ બુકમાં નામ લખાવવા માટે પણ નથી.કારણ કે આનાથી મોટી કથાઓ-કૈલાશમાં, માનસરોવરમાં,રાક્ષસતાલમાં,ભૂષંડી સરોવર અને દ્વાદશ જ્યોતિર્લિંગમાં થઈ છે.
બાપુએ કહ્યું કે આ હિસ્ટોરિકલ નહીં સ્પીરિચ્યુલ કથા છે.ઇતિહાસ ક્યારેક ભૂષાઈ જાય છે,અધ્યાત્મ ક્યારેય ભૂંસાતું નથી.ઇતિહાસ પુરાતન છે,અધ્યાત્મ સનાતન છે.એ પણ ઈશારો કર્યો કે મારી યાત્રા જ્યારે કિનારે પહોંચવા તરફ જઈ રહી છે ત્યારે ખોટી નમ્રતાની વાત પણ નહીં કરું,મને પણ આનંદ થયો છે અહીં મનોરથી આશિષ પૂછતો કે યુનોમાં કથા થાય કે નહીં?બાપુએ કહ્યું કે કથા પોતે ઇચ્છે તો થઈ શકે! અને એ પછી સંયુક્ત રાષ્ટ્રસંઘના જનરલ સેક્રેટરી અને તમામ પ્રત્યે બાપુએ પોતાનો ધન્યવાદ અને સાધુવાદ વ્યક્ત કર્યો.અનેક મુશ્કેલીઓ પછી પણ રમાબેન અને મનજી બાપાની દીકરીનો પરિવાર આ કથાને અહીં લઈ આવ્યા.પાયલોટ એવું કહેતા હોય છે કે ટેલ વિન્ડ હોય તો વિમાન જલ્દી પહોંચે છે, અમારી પાછળ પવન તનય એ ટેલ વિન્ડ છે એની કૃપાનું આ પરિણામ છે અસ્તિત્વની કૃપા છે.
બાપુએ કહ્યું કે મારું ચાલે તો યુનોની બિલ્ડિંગ પર પ્રેમ દેવો ભવ: લખાવી દઉં.માન્યતા મળે એનું કોઈ મૂલ્ય નથી,ધન્યતા મળવી જોઈએ.માન્યતા બે કોડીની હોય છે,બે મિનિટમાં કોઈ છીનવી લેશે. ત્રિભુવનની કૃપાથી ત્રિભુવનનીય ગ્રંથ લઈને આવ્યો છું.બે દિવસથી ઇન્ટરવ્યૂમાં પુછાય છે કે તમારો ઈરાદો શું છે?બાપુએ કહ્યું કે કોઈ મંજૂરી આપે તો જ્યાં યુદ્ધો ચાલી રહ્યા છે એ સરહદ ઉપર પોથી લઈને જાવું છે,એક વખત મરવું તો છે જ! તો ત્યાં જઈને મરીશું.એ બંને તરફથી શસ્ત્ર ફેકશે અને વચ્ચે હું શાસ્ત્ર રાખીશ.
અહીંના બંધારણમાં ચાર મુખ્ય અંશ:દુનિયામાં શાંતિની સ્થાપના થાય.રામચરિત માનસ વૈશ્વિક શાંતિનો સંદેશ આપે છે.બીજું સૂત્ર છે: સત્ય જ્યાંથી મળે એનો સ્વીકાર.દુનિયામાં ભૂખ ન રહે બીમારી ન રહે અને નિરક્ષરતા ના રહે-આ હેતુ છે.
બાપુએ કહ્યું કે આપણે કેટલા સફળ થયા એનું વારંવાર સમયાંતરે મૂલ્યાંકન થતું રહેવું જોઈએ. ત્રીજો હેતુ છે:પરસ્પર રાષ્ટ્ર વચ્ચે મૈત્રી થાય. રામ રાજ્યના વર્ણનમાં ગરીબી,નિરક્ષરતા,બીમારી,મૈત્રી વિશેની વાત તુલસીજીએ કરેલી છે.ચોથું સૂત્ર છે: કોઈની સ્વતંત્રતા અને અધિકાર છીનવી ન લેવામાં આવે.એ પછી ૧૭ પેટા સિદ્ધાંતો પણ છે.
ભારતના ઋષિમુનિઓએ હજારો વર્ષ પહેલા કહેલી વાત પ્રમાણ સાથે આપણે કરતા રહીશું.વેદમાં એક શબ્દ છે:વિશ્વનીડમ-આખું વિશ્વ એક આશિયાના, ઘોંસલો,નીડ,માળો છે.પંખીઓનો મેળો છે.ઘણા વિષય મનમાં આવ્યા અને આજે લાગ્યું કે માનસ વસુધૈવ કુટુંબકમ- જે અમારા ઋષિમુનિઓનો ઉદઘોષ છે.
બાપુએ કહ્યું કે પાંચ કૃપા કામ કરી ગઈ:શિવકૃપા, હનુમંત કૃપા,સ્વયમ માનસકૃપા,ત્રિભુવન કૃપા અને અસ્તિત્વની કૃપા.
ચાર હેતુ પછી પાંચ મારે ઉમેરવા છે.જેમાં પાંચમો છે વિશ્વમાં સંવાદ થવો જોઈએ.દરેક વાત પર વિવાદ શું કામ?છઠ્ઠું:બધાનો સ્વીકાર થવો જોઈએ અને સાત, આઠ અને નવ બધા જ જાણે છે:સત્ય,પ્રેમ અને કરુણાનું સ્થાપન થવું જોઈએ.
કથા માહત્મ્યમાં મંગલાચરણ વંદના પ્રકરણ પછી તુલસીજી શાંતિમય ક્રાંતિમાં ગણપતિ વંદનાને બદલે માતૃ વંદનાથી આરંભ કરે છે.પહેલા જ મંત્રથી વિશ્વમંગલની કામના થાય છે.બાપુએ કહ્યું કે સિદ્ધિ તો મળશે જ પણ મારે શુદ્ધિ જોઈએ છીએ. મને શુદ્ધિની સિદ્ધિ આપો!સિદ્ધિનો કોઈ અંત નથી,અનંત શુધ્ધિ માંગુ છું.બાપુએ કહ્યું કે યુદ્ધમાંથી નીકળી અને બુદ્ધ સુધી જશુ તો શુદ્ધ બનવામાં વાર નહીં લાગે. ગુરુ વંદના પ્રકરણનાં એક-એક શબ્દને ખૂબ ઊંડાણપૂર્વક સમજાવી પહેલા દિવસની કથાને વિરામ આપવામાં આવ્યો.

Related posts

ડૉ. વી.જી. પટેલ મેમોરિયલ લેક્ચર આયોજન, ઈ ડી આઈ આઈ

amdavadlive_editor

અમિત અગ્રવાલે ૧૭મા હ્યુન્ડાઈ ઈન્ડિયા કોઉચર વીકમાં એન્ટિવોર્ટાનું અનાવરણ કર્યું

amdavadlive_editor

દુબઈએ 2024 ના પ્રથમ છ મહિનામાં રેકોર્ડ 9.31 મિલિયન મુલાકાતીઓનું સ્વાગત કર્યું

amdavadlive_editor

Leave a Comment