August 24, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વિશ્વ વિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે રામકથા રસથાળ પર ‘તુલસીપત્ર’ સમર્પિત કરીને અનુષ્ઠાનનું થયું ભાવમયી સમાપન.

૯૮૩મી રામકથાનો ૧-સપ્ટેમ્બરથી ઊડુપી(કર્ણાટક) ખાતે થશે શુભારંભ.

“હું અહીં ભણવા કે ભણાવવા નહીં પણ પ્રસાદ વહેંચવા આવ્યો છું.”

“નામપ્રસાદ અને હરિપ્રસાદનું વિતરણ કરવા આવ્યો છું.”

ગુરુપ્રસાદ પંચશિક્ષા,પંચદિક્ષા અને પંચભિક્ષા પ્રદાન કરે છે.

—————————-

ગુર પ્રસાદ સબ જાનિઅ રાજા;

કહિઅ ન આપણ જાનિ અકાજા.

-બાલકાંડ-૧૯૩/૨.

મખ રખવારી કરિ દુહું ભાઇ;

ગુર પ્રસાદ સબ વિદ્યા પાઇ.

-બાલકાંડ-૩૫૬/૨.

સહિત સમાજ તુમ્હાર હમારા;

ઘર બન ગુર પ્રસાદ રખવારા.

-અયોધ્યાકાંડ-૩૦૫/૧

બાપુએ ત્રણ બીજ પંક્તિઓને લઇ વિશ્વ વિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટી-બોસ્ટન,અમેરીકા ખાતે રામકથા અનુષ્ઠાન સાથે જ પહેલીવાર વિદેશની ધરતી પર તુલસી જન્મોત્સવ ઉજવણીનાં દિવ્ય પ્રસંગનાં નવમા પૂર્ણાહૂતિ દિવસે,ઉપસંહારક વાતોમાં પ્રવેશ કરતા યુવાન ભાઈ-બહેનોની આખી ફૂલવાડીની સમજ અને શાલીનતા ભરી સેવાની નોંધ લીધી.

અહીં આવેલા તમામ સારસ્વતો તેમજ યુનિવર્સિટીના સંચાલકો,મેનેજમેન્ટને ભારત વર્ષ તરફથી ધન્યવાદ આપ્યા.તેઓના આદર અને આવકારની પ્રસન્નતા ભરી નોંધ લીધી.

વિરામ માટે જ્યારે ભેગા થયા છીએ ત્યારે કલામાં જેમ પાંચ દેવોને યાદ કરાય છે,કથામાં કયા પાંચ દેવ છે?વ્યાસપીઠ પર પાંચ વસ્તુઓનું ધ્યાન રાખવાનું કહ્યું,એ છે:શબ્દ દેવતા,સુર દેવતા,સ્વર દેવતા,લયનાં દેવતા અને તાલ દેવતા.ભૂલનો સ્વીકાર ન કરે એ જ સૌથી મોટી ભૂલ હોય છે.અહીં ગાતા અને સાંભળતા જે સૂત્રો મળ્યા એમાં સાવધાની રાખવાનું બાપુએ જણાવ્યું.દેહ અને આંખોથી પ્રેમ કરીએ તો વિયોગ લાગે પણ આત્માથી પ્રેમ કરતે કરીએ ત્યારે વિયોગ નથી લાગતો એવું રૂમી પણ કહે છે,છતાં પણ વિચારોનો પણ પરિગ્રહ ન કરવો જોઈએ.

બાપુએ કહ્યું કે હું અહીં ભણવા કે ભણાવવા નહીં પણ પ્રસાદ વહેંચવા આવ્યો છું.નામપ્રસાદ અને હરિપ્રસાદનું વિતરણ કરવા આવ્યો છું.

આરંભમાં ગુરુ પ્રસાદ જાણકારી આપે છે,મધ્યમાં ગુરુપ્રસાદ વિદ્યા પ્રદાન કરે છે અને અંતમાં ગુરુપ્રસાદ ઘર અને વનમાં આપણી રક્ષા કરે છે.

ગુરુનો પ્રસાદ પાંચ પ્રકારની શિક્ષા.પાંચ પ્રકારની દીક્ષા અને પાંચ પ્રકારની ભિક્ષા આપે છે.

પંચ શિક્ષામાં વિદ્યા,વિનય,નિપુણતા,ગુણ અને શીલ મળે છે.

પંચદિક્ષામાં શબ્દ દીક્ષા,સ્પર્શ,રૂપ,રસ અને ગંધની દીક્ષા આપે છે.

જ્યારે પાંચ ભિક્ષાઓમાં ગુરુ અભય બનાવે.અભેદ કરે,અમનની દીક્ષા આપે,આશ્રય આપે અને અશ્રુ આપે છે.

જ્યારે યુદ્ધ અનિવાર્ય બન્યું ત્યારે રામ અને રાવણ વચ્ચેના ભિષણ અને ભયાનક યુદ્ધ પછી રાવણને ગતિ દઈને વિભીષણને લંકા સોંપી પુષ્પકારૂઢ થઈને અયોધ્યામાં પ્રવેશ કર્યો.રામ નીજભવનમાં સૌથી પહેલા કૈકયીને મળી પછી બધી જ માતાઓ અને અયોધ્યાવાસીઓને મળ્યા.વશિષ્ઠજીએ દિવ્ય સિંહાસન મગાવી રામજીના વિશાળ ભાલમાં રાજતિલક કરી સિતારામજીની સ્થાપના કરીને વિશ્વને રામરાજ્ય પ્રદાન કર્યું.

ચારેય ઘાટ ઉપર ચાલી રહેલી રામકથાની સાથે જ તુલસીજીએ પણ પોતાની કથાને સત્ય,પ્રેમ અને કરુણા-એ માનસના ચાર સૂત્રો બતાવી વિરામ કર્યો. બાપુએ મનોરથી પાવન અને પોપટ પરિવાર તથા યુનિવર્સિટીનો આભાર વ્યક્ત કરી વિશ્વશાંતિ,વિશ્રાંતિ માટે આખી રામકથા હાર્વર્ડ યુનિવર્સિટીને સમર્પિત કરીને રામકથાને વિરામ આપ્યો.

આગામી-૯૮૩મી રામકથા ૧-સપ્ટેમ્બરથી ૯-સપ્ટેમ્બર દરમિયાન ઉડુપી(કર્ણાટક) ખાતે યોજાશે.જેનું જીવંત પ્રસારણ નિયમિત નિયત સમય મુજબ આસ્થા ટીવી ચેનલ તેમજ ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબ ચેનલનાં માધ્યમથી નિહાળી શકાશે.

== સમાપ્ત ==

Related posts

ડિજિટલ ઇન્ડિયા પહેલને સપોર્ટ કરતાં યુવા ઉદ્યોગસાહસિકે Xcare.in લોંચ કર્યુઃ માત્ર એક ક્લિક ઉપર ઘરઆંગણે આઇટી સર્વિસિસની વિશાળ શ્રેણી ઉપલબ્ધ

amdavadlive_editor

મહિલા સશક્તિકરણનું પ્રેરણાદાયી ઉદાહરણ: નવસારીના મેયર અને ડેપ્યુટી મેયરના નિવાસસ્થાને મહિલા ટેક્નિશિયનો દ્વારા સ્માર્ટ મીટર સ્થાપન

amdavadlive_editor

અમદાવાદ ટાઇમ્સ ફેશન વીક ૨૦૨૫: પરંપરા, ઇનોવેશન અને ગ્લેમરનો સંગમ

amdavadlive_editor

Leave a Comment