મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સમાજના ૫૦ જેટલા આર્થિક રીતે જરૂરિયાતમંદ યુવાનોને જેસીબીનું વિતરણ કરાયું
ગુજરાત, અમદાવાદ ૫ જૂન ૨૦૨૫: ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા ગાંધીનગરના ટાઉનહોલ ખાતે આયોજીત ૫૦ જેસીબીની સોંપણી કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે તેમજ સર્વે મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે સમાજના ૫૦ જેટલા આર્થિક રીતે *જરૂરિયાતમંદ* યુવાનોને એક પણ રૂપિયાના ડાઉન પેમેન્ટ વગર જેસીબીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ સંગઠનના આ કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી હરહંમેશ કહે છે કે, યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે સરકારના પ્રયાસોમાં સમાજનો સહયોગ મળે તો વિકાસની ગતિ બમણી થઈ જાય છે.
મુખ્યમંત્રીશ્રીએ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, સમાજ-જીવન માટે ખૂબ ઉપયોગી ઘણા સંકલ્પો વડાપ્રધાનશ્રીએ આપ્યા છે. આપણે પણ જે કોઈ કાર્ય કરીએ તેમાં પર્યાવરણને પ્રાધાન્ય આપવું જરૂરી છે. આપણા ધંધા-રોજગારમાં અને જીવનશૈલીમાં પર્યાવરણનો વિચાર કરીશું તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાકાર થશે. દરેક ગામ દરેક સમાજ જ્યારે આગળ આવશે ત્યારે જ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી દ્વારા સમાજના દૂરંદેશી યુવાઓના વિચાર સાથે એક અદભુત અને કાર્યશીલ યુવા સંગઠનની રચના કરી તે માટે આ સંગઠનને બિરદવામાં આવ્યું હતુ. તેમજ સંગઠન દ્વારા યુવાઓને રોજગારલક્ષી – શૈક્ષણિકલક્ષી વિષયો પર તેમજ સરકારી યોજનાઓની સમજ આપવી, યુવાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લે તે માટે નિઃશુલ્ક કોચિંગ ક્લાસ ચલાવવા, સામાજિક દુષણો દૂર કરી મુખ્ય પ્રવાહમાં જોડવા તેમજ કુદરતી હોનારતમાં યુવા સ્વયંસેવકો દ્વારા સેવા આપી સહાય કરવી જેવા અતિ મહત્વના વિષયો પર કાર્ય કરતા આ સંગઠન માટે ગર્વ અને આનંદ વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ અવસરે સંગઠનના પ્રમુખશ્રી દિલીપભાઈ ભવાનભાઈ ભરવાડ દ્વારા મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા થતા તમામ કર્યોનો ચિતાર આપવામાં આવ્યો હતો. આ સાથો-સાથ જે યુવાઓને રોજગાર માટે જેસીબી આપવામાં આવ્યા છે તેઓને શુભકામનાઓ પાઠવી તેમજ સમાજના અગ્રણી તમામને આવકારી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે સંગઠનના મહામંત્રીશ્રી અમિતભાઈ રાજાભાઈ ભરવાડ દ્વારા મહેમાનોને આવકારી સંગઠનના વિકાસ અને વિસ્તાર અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે, આ સંગઠનમાં આજે 2,48,789 જેટલા સમાજના યુવા સ્વયં સેવકો જોડાયેલા છે તેમજ ગુજરાતના તમામ જિલ્લા – તાલુકા અને શહેરમાં સંગઠનની સમિતિ કાર્યરત છે.આજ દિન સુધી અવનવી યોજનાઓ હેઠળ હજારો યુવાઓને લાભ આપવામાં આવ્યો છે.આ ઉપરાંત રોજગાર લક્ષી તમામ યોજનો કાર્યરત છે.આમ ૨૦૧૭થી આ સંગઠન ખૂબ જ સરસ રીતે કાર્યરત છે અને સમાજના યુવાનોનો ખૂબ સરસ સહકાર તેમજ સમર્થન મળતું આવ્યું છે.
સંગઠનના પ્રવક્તા શ્રી રણછોડભાઇ દ્વારા સંગઠનની વિશેષતા તેમજ સંગઠનના ઉદેશ્ય વિશે સૌને માહિતગાર કર્યા હતા.
અંતે, ભરવાડ યુવા સંગઠન ઉપપ્રમુખ શ્રી મેહુલભાઈ લાખાભાઈ ભરવાડ દ્વારા સૌનો હ્રદયથી આભાર વ્યક્ત કર્યો હતો તેમજ મુખ્યમંત્રીશ્રીનો સવિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.
આ અવસરે મહંતશ્રી રામબાપુ, મહંતશ્રી ઘનશ્યામપૂરી બાપુ, લઘુ મહંતશ્રી નામદેવ ભગત, મહંતશ્રી કેહુભગત, મહંતશ્રી નારણદાસ બાપુએ સૌને આશીર્વાદ આપ્યા હતા.
આ પ્રસંગે શ્રી ભવાનભાઈ જીવણભાઈ ભરવાડ (પૂર્વ ધારાસભ્ય), લાખાભાઈ ભરવાડ (પૂર્વ ધારાસભ્ય) રાજાભાઈ વામાભાઈ ભરવાડ (સામાજિક અગ્રણી)ભવાનભાઈ રૂખડભાઈ ભરવાડ (સામાજિક અગ્રણી) વિજયભાઈ માલાભાઈ ભડિયદ્રા (સામાજિક અગ્રણી) ભરતભાઈ હરીભાઈ મેર (સામાજિક અગ્રણી) મનોજભાઈ બેચરભાઈ ગમારા (સામાજિક અગ્રણી) મેરૂભાઈ હરીભાઈ ભરવાડ (સામાજિક અગ્રણી) મનુભાઈ માગુંડા (સામાજિક અગ્રણી) દામાનભાઈ ઠાકોર (અમીન જેસીબી) વિદીસાબેન આસરપોટા (અમીન જે સીબી) તેમજ સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.