તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં “માનસ ગુરુ પ્રસાદ” શિર્ષક અંતર્ગત કથા ગાન આરંભાયું
————————————
મોરારીબાપુના કુલ કથાક્રમની ૯૮૨મી રામકથાના મંગલ ગાનનો અમેરિકાની વિશ્વ પ્રસિદ્ધ હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થીએટર, મેમોરિયલ હોલ ખાતેથી પંદરમી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વના દિવસે આરંભ થયો. ઉલ્લેખનીય છે કે અમેરિકાની ધરતી પર આ પહેલા ૩૯ વખત બાપુ કથા ગાન કરી ચૂક્યા છે. એ રીતે અમેરિકામાં તલગાજરડી વ્યાસપીઠ ૪૦ મી વખત મુખર્ થઇ રહી છે. આ કથા લોર્ડ ડોલર પોપટ અને પરિવાર દ્વારા આયોજીત કરવામાં આવી છે.
આ વખતે રામકથાની વિશેષતા એ છે કે પૂજ્ય બાપુ અમેરિકા ખાતે તુલસી જન્મોત્સવની ઉજવણી કરશે. શ્રાવણ સુદ સાતમના રોજ તુલસી જયંતિના ઉપલક્ષ્યમાં બાપુ અમેરિકામાં ભારતના પચાસ કથાકારોને લઇ ગયા છે.
અત્રે એ યાદ રાખવું ઘટે કે પૂજ્ય બાપુએ ૨૦૧૦ થી તુલસી જન્મોત્સવની જાહેર ઉજવણીનો આરંભ કરેલો. કલિ પાવનાવતાર પૂજ્ય તુલસીદાસજી મહારાજની પુણ્ય સ્મૃતિ સ્વરુપે બાપુએ કૈલાસ ગુરુકુળ, મહુવાથી તુલસી જન્મ જયંતિના અવસરે ભારતના વિવિધ પ્રાંતના રામકથાના ગાયકો, કથા વાચકો, રામ ચરિત માનસના ચિંતનકારો તથા રામ કથા સંદર્ભમાં યોગદાન આપનારી સંસ્થાઓ પૈકી કોઇ એકની પસંદગી કરીને એમના યોગદાન બદલ તુલસી એવૉર્ડથી તેમને વિભુષિત કરવાનો ઉપક્રમ ૨૦૧૦થી આરંભાયો. એ પછી તુલસી એવૉર્ડની સાથોસાથ વ્યાસ એવૉર્ડ અને વાલ્મીકિ એવૉર્ડનો પણ આ ઉપક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો. ૨૦૧૦ થી ૨૦૨૪ સુધી પ્રતિવર્ષ ગુરુકુળ ખાતે આ કાર્યક્રમનું આયોજન થતું રહ્યું. ગત વર્ષે તુલસીદાસજીના જન્મ સ્થાન રાજાપુર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષે અમેરિકા માં યોજાશે.
બાપુ માટે રામચરિત માનસ સ્વયં સદ્ગુરુ છે. પ્રભુ રામનું એ વાંગ્મય સ્વરુપ છે. એના રચનાકાર માટે પ્રતિવર્ષ તુલસીદાસજીના પાવન સ્મરણમાં રામચરિત માનસ અને રામાયણ પર વિશેષ ચિંતન મનન માટે સમર્થ વિદ્વાન કથાકારો અને ચિંતકો પોતાનું નવું ચિંતન પ્રસ્તુત કરે છે. પૂજ્ય બાપુ શ્રોતા તરીકે વિનમ્રતા અને એકાગ્રતાથી રામાયણ વિશેના નવા વિચારોનું શ્રવણ કરે છે.
રામ કથા ની સાથોસાથ સાયંકાલીન સભામાં વિદ્વાન વક્તાઓના વ્યાખ્યાનોના શ્રવણનો લાભ શ્રોતાઓ પ્રાપ્ત કરશે. પંદરમી ઓગસ્ટ – ભારતના સ્વતંત્રતા દિવસે આ કથા આરંભાઇ રહી છે એ સુંદર યોગાનુયોગ છે.
== સમાપ્ત ==

