27.8 C
Gujarat
August 5, 2026
Amdavad Live
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

વિશ્વ હેડ એન્ડ નેક કેન્સર દિવસ પર ડૉ. શશિકાંત લિંબાચીયા દ્વારા આયોજિત ‘કેન્સર વોરિયર્સ મીટ’માં હેડ એન્ડ નેક કેન્સર સર્વાઈવર્સે તેમની અતૂટ હિંમતની ગાથાઓ રજૂ કરી

ગુજરાત, અમદાવાદ | ૨૭ જુલાઈ ૨૦૨૫: આજે વિશ્વભરમાં હેડ એન્ડ નેક કેન્સર એટલે કે મોઢા અને ગળાના કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે, પ્રખ્યાત હેડ એન્ડ નેક કેન્સર સર્જન ડૉ. શશિકાંત લિંબાચીયાએ “કેન્સર વોરિયર્સ મીટ 2025” ની ત્રીજી આવૃત્તિનું આયોજન કર્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવતી આ પ્રેરણાદાયી પરંપરામાં, કેન્સરને સફળતાપૂર્વક હરાવનાર દર્દીઓ એકઠા થયા અને તેમની આશા અને હિંમતની ગાથાઓ રજૂ કરી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય તમાકુના લીધે  થતા કેન્સરના જોખમો અને કેન્સરની વહેલી તપાસના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો હતો.

તમાકુનું વ્યસન મોઢા  એન્ડ ગળાના કેન્સરનું મુખ્ય કારણ છે, જે ભારતીય પુરુષોમાં થતા કુલ કેન્સરના ૨૬% જેટલો હિસ્સો ધરાવે છે. ધૂમ્રપાન કરનારાઓ માટે આ જોખમ ધૂમ્રપાન ન કરનારાઓ કરતાં લગભગ ૧૦ ઘણું વધારે છે. ગુજરાતમાં આ આંકડાઓ ખાસ કરીને ચિંતાજનક છે, જ્યાં છેલ્લા બે દાયકામાં ૫૦ વર્ષથી ઓછી ઉંમરના દર્દીઓમાં હેડ એન્ડ નેક કેન્સરના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં, હેડ એન્ડ નેક કેન્સરના કેસો કુલ કેન્સરના લગભગ ૫૦% સુધી પહોંચી ગયા છે.

ડૉ. શશિકાંત લિંબાચીયાએ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, “કોઈપણ સ્વરૂપમાં તમાકુ એ એક ઝેર છે જે આપણા રાજ્ય અને દેશભરના પરિવારોને બરબાદ કરી રહ્યું છે. ગુજરાતમાં હેડ એન્ડ નેક કેન્સર પીડિતોમાંથી મોટાભાગના – આશરે ૮૦ ટકા – પુરુષો છે. જેમાંથી ઘણા તેમના જીવનના કેરિયર, પરિવાર અને જવાબદારી વચ્ચે ઝઝૂમતા હોય છે. ‘કેન્સર વોરિયર્સ મીટ’ એ આ આંકડાઓ પાછળની અસલી માનવકથાઓને સમાજ સમક્ષ લાવવાનો પ્રયાસ છે. આ સર્વાઈવર્સ એ વાતનો જીવંત પુરાવો છે કે કેન્સર પછી પણ જીવન શક્ય છે. તેમની સફર એક આશાભર્યો સંદેશ આપે છે: “આજે જ તમાકુ છોડો અને સ્વસ્થ ભવિષ્ય અપનાવો.”

આ કાર્યક્રમ આજે, રવિવાર, ૨૭ જુલાઈ, ૨૦૨૫ ના રોજ ગાંધીનગરના ટાઉન હોલમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્સર સર્વાઈવર્સ દ્વારા પ્રેરણાદાયી અને ભાવનાત્મક વાતો રજૂ કરવામાં આવી હતી, જેણે કેન્સર સામેની લડાઈને એક અનોખો દ્રષ્ટિકોણ આપ્યો.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના માનનીય કેબિનેટ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા અને પૂર્વ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી વલ્લભભાઈ કાકડિયા ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ મહેમાનો તરીકે મોટીવેશનલ સ્પીકર અને લેખક ડૉ. નિમિત ઓઝા અને કવિ શ્રી અંકિત ત્રિવેદીનો સમાવેશ થયો હતો, જેમણે પ્રેરણાદાયી વક્તવ્યો આપ્યા હતા.

ભારતમાં મોઢા અને ગળાના કેન્સરના ૬૫%થી વધુ કેસો અંતિમ તબક્કે શોધાય છે.
‘કેન્સર વોરિયર્સ મીટ’નો હેતુ છે — લોકોને વહેલા નિદાન માટે પ્રેરણા આપવી.
ડૉ. શશીકાંતના શબ્દોમાં: ‘એક સમયસરની તપાસ જીવન બચાવી શકે છે.’
મોઢામાં ૩ અઠવાડિયા થી વધુ સમય ન રુઝાતું ચાંદુ, મોઢામાં લાલ કે સફેદ ડાઘ, ગળામાં ગાંઠ થવી , અવાજમાં ફેરફાર, જમવાનું  ગળવામાં તકલીફ.  આવા  કોઈ પણ લક્ષણો અવગણશો નહીં — આજે જે તપાસ કરાવો અને આવતીકાલને બચાવો.

Related posts

હીરાના વેપારી અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ વડાપ્રધાન મોદીને ‘ નવા ભારત ‘ ના સ્વપ્નનું પ્રતીક “નવભારત રત્ન” અર્પણ કર્યો

amdavadlive_editor

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6: ડેબ્યૂટન્ટ કોલકાતા થંડરબ્લેડ્સ સ્ટેન્લીઝ ચેન્નાઈ લાયન્સ સામે, જ્યારે વેસ્ટર્ન ડર્બીમાં યુ મુમ્બાનો સામનો અમદાવાદ એસજી પાઈપર્સથી થશે

amdavadlive_editor

ઓક્સફર્ડ ઈન્ગ્લિશ લેન્ગ્વેજ લેવલ ટેસ્ટ્સ (ઓઈએલએલટી) યુનિવર્સિટી સાથે ભાગીદારીઓ મજબૂત બનાવે છેઃ દુનિયાભરની 30થી વધુ યુનિવર્સિટીઓને જોડી

amdavadlive_editor

Leave a Comment