તમામ દ્વૈતોથી પર હોય એ આનંદમાં ડૂબી શકે.
ત્રણ વસ્તુ વહેતી રહે તો જ ટકે:નદી,નંદી,આનંદી.
સુખ-દુ:ખથી પર થાઓ તો આનંદ છે.
માયા અને બ્રહ્મથી પણ પર જાઓ તો આનંદ છે.
ફરી આવતા વર્ષે,૪-થી ૧૨-એપ્રિલ વિષ્ણુપ્રયાગમાં થશે કથાગાન.
જ્યાં ભાગીરથી અને અલકનંદા નદીઓનાં પ્રવાહ મળી રહ્યા છે એ સંગમભૂમિ નંદ પ્રયાગ પર ચમૌલીનું દેવલી બગડ મલારી ગામ,ભોળા પહાડી લોકોની ઉત્સાહિત હાજરી વચ્ચે રામકથાનાં આઠમા દિવસે બાકીનાં કાંડની કથાને સંક્ષિપ્ત રીતે વર્ણવતા મહત્વનાં પ્રસંગોનું વિહંગાવલોકન કરતાં આનંદ શબ્દની પરિભાષા કરતા આદિ શંકરાચાર્યજીનાં એક શ્લોકની મિમાંસા કરી.શ્લોક આ મુજબ છે:
ન પ્રમાદાત અનર્થોન્યો જ્ઞાનિન: સ્વસ્વરૂપત: તતો મોહસ તત: અહંધિશ તતો બંધસ તતો વ્યથા.
મધુરવાણી કહેતા શંકરાચાર્ય કહે છે કે પ્રમાદ સમાન આ જગતમાં જ્ઞાનીઓ માટે અન્ય કોઇ અનર્થ નથી.
રામાનુજાચાર્ય,રામાનંદાચાર્ય,નિમ્બાર્કાચાર્ય,માધવાચાર્ય,વલ્લભાચાર્ય,શંકરાચાર્ય-આ બધાની એક પરિષદ છે.જો કે કાળભેદ અને સિધ્ધાંતભેદ હોવા છતાં ‘સભી સયાને એક મત’.હું તો દરેક પાસેથી માધુકરી મેળવીને વહેંચું છું.તો પણ મારી વાતો-સંવાદમાં શંકરાચાર્યજીની વાતો વધારે આવે છે એ કાલડી અને તલગાજરડી સંગમ છે.દાદા વિષ્ણુદેવાનંદ ગિરિજીનાં કારણે પણ મને શંકરાચાર્યજીની વાતો વધુ સ્પર્શે છે.
ગીતામાં આતતાયી શબ્દ લખીને કહેલું છે કે આતતાયીને હણવામાં કોઇ પાપ નથી.
પ્રમાદ સમાન જીવન પ્રવાહમાં કોઇ અનર્થ નથી.વ્યાસ આદિ મહાપુરૂષોએ પ્રમાદને મૃત્યુ કહ્યો છે.
જો સમજદારે પોતાનાં બોધ પ્રત્યે પ્રમાદ કર્યો એટલે કે પોતાના બોધ તરફ સ્હેજ પણ આળસ કરી,પોતાના સ્વરૂપનું અનુસંધાન ન રાખ્યું તો ચાર રીતે પોતે દંડિત થાય છે.જ્ઞાનીએ,સમજદારે સ્વરૂપ અનુસંધાન રાખવું જોઇએ નહિંતર મોહિત, અહંકારી,બંધનયુક્ત અને વ્યથિત બની જવાશે.આ ચાર દંડ છે.
રામચરિત માનસમાં ૧૯ જેટલા દ્વૈત બતાવ્યા છે.તમામ દ્વૈતોથી પર હોય એ આનંદમાં ડૂબી શકે.
સારું-ખરાબ,દુ:ખ-સુખ,પાપ-પુણ્ય,સાધુ-અસાધુ(આ બંનેથી ઊપર એ પરમ સાધુ બતાવ્યા).
સુખ-દુ:ખથી પર થાઓ તો આનંદ છે.પાપ-પૂણ્યથી ઉપર જાઓ તો આનંદ છે.વિરોધ-પ્રતિરોધમાં નહિ,બોધમાં આનંદ છે. રાત-દિવસ, સુમતિ-કુમતિ દાનવ-દૈવથી ઉપર મહાદેવ છે,મહાદેવ આનંદ છે.લક્ષી-અલક્ષી,અમૃત-ઝેર,માયા અને બ્રહ્મથી પણ પર જાઓ તો આનંદ છે. જીવ-જગદીશ, રંક-રાજા, કાશી-મગહર,સુરસરી-ક્રમનાશા(કર્મનાશા),
મરુ-માળવા,સ્વર્ગ-નર્ક,અનુરાગ-વિરાગ…આ બધા દ્વંદોથી પર આનંદ છે.
ત્રણ વસ્તુ વહેતી રહે તો જ ટકે:નદી,નંદી,આનંદી.
અયોધ્યા કાંડનાં મંગલાચરણમાં શિવજીની વંદના પછી ગુર વંદનાનું ગાન થયું.અયોધ્યા યુવાનીનો કાંડ છે અને ગુરુની સૌથી વધારે જરૂર યુવાનીમાં હોય છે સાથે એ પણ ઉમેર્યું કે આ વિસ્તારમાં કથાગાન કરવું વધારે આનંદદાયક છે.એટલે આવતા વર્ષે,બધું જ અનુકૂળ રહ્યું તો,હનુમાન જયંતિ પછી ૪-એપ્રિલથી ૧૨-એપ્રિલ વિષ્ણુપ્રયાગમાં કથાગાન કરવાનું થશે. સાગર જેવડું ભરતચરિત્ર સંક્ષિપ્તમાં કહેતા દશરથના મૃત્યુ પછી ભરતનું અયોધ્યામાં આગમન થાય છે. ભરત રાજગાદીનો ઇનકાર કરે છે અને આખી અયોધ્યા ચિત્રકૂટ રામને મળવા જાય છે.જ્યાં જનક અને અન્ય મહાપુરુષો મળે છે.સભાઓ થાય છે અને રામના આદેશથી ભરત અયોધ્યાનું રાજ ચલાવવા કંઈક આધારની માગણી કરે છે.રામ તેઓને પાદુકા આપે છે.પાદુકા ગ્રહણ કરી કરીને ભરત અયોધ્યા પાછા આવે છે અને ભરતનાં ચરિત્રનું છંદોમાં વર્ણન કરીને અયોધ્યાકાંડને વિરામ અપાય છે આવતીકાલે આ રામકથાનો પૂર્ણાહુતિ દિન છે.કથા સવારે ૮ વાગ્યે શરૂ થશે.