May 3, 2026
Amdavad Live
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજાપુરમાં તુલસી જન્મોત્સવ સમારોહમાં સામેલ થયા, મોરારી બાપુની પ્રશંસા કરી

રાજાપુર, ચિત્રકૂટ | ૩૧ જુલાઈ ૨૦૨૫: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે સંત-કવિ ગોસ્વામી તુલસીદાસજીની જન્મભૂમિ રાજાપુરમાં આયોજિત તુલસી જન્મોત્સવમાં ભાગ લીધો અને તેમની દિવ્ય વિરાસતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પ્રખ્યાત રામકથા વાચક મોરારી બાપુની પ્રેરણાથી આયોજિત આ કાર્યક્રમમાં દેશભરમાંથી આવેલા સંતો, ધર્માચાર્યો અને શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિ રહી.

આ અવસરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, “હું પોતાને ધન્ય માનું છું કે મને ગોસ્વામી તુલસીદાસજીની જયંતિના આ પવિત્ર આયોજનમાં સામેલ થવાનો અવસર મળ્યો. આ એ જ ભૂમિ છે જ્યાં 500 વર્ષ પહેલાં અભાવો અને સીમિત સંસાધનો વચ્ચે એક દિવ્ય આત્માનો જન્મ થયો, જેમણે બાળપણમાં જ પોતાને પ્રભુ શ્રીરામના ચરણોમાં સમર્પિત કરી દીધા અને આખી જીવન યાત્રા ભગવાન શ્રીરામની મર્યાદાઓના પ્રચાર-પ્રસારમાં સમર્પિત કરી દીધી. આ મહાન સંતે પ્રભુ શ્રીરામની ભક્તિ અને શક્તિના અદ્વિતીય સંગમથી એક નવી ચેતનાનું નિર્માણ કર્યું.”

સનાતન ધર્મના પ્રચારમાં મોરારી બાપુના યોગદાનની પ્રશંસા કરતા તેમણે કહ્યું, “એવો કયો ભારતીય હશે જે પ્રભુ શ્રીરામની પાવન કથાને મોરારી બાપુના શ્રીમુખેથી સાંભળવા ઉત્સુક ન હોય? એવો કયો સનાતન ધર્માવલંબી હશે? બાપુએ જીવનભર શ્રીરામના આદર્શોને જન-જન સુધી પહોંચાડ્યા છે. હું તેમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે તેમણે ગોસ્વામી તુલસીદાસજીની સ્મૃતિને જીવંત રાખવાના આ મહત્વપૂર્ણ પ્રયાસમાં તમામ સંતો અને શ્રદ્ધાળુઓને એક મંચ પર એકત્ર કર્યા.”

મુખ્યમંત્રીએ રત્નાવલી, તુલસી, વ્યાસ અને વાલ્મીકિ સન્માન પ્રાપ્ત કરનાર વિદ્વાનોને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે આવા સન્માન ભવિષ્યની પેઢીઓને સનાતન ધર્મ પ્રત્યે પ્રેરિત કરશે.

આ અવસર પર મોરારી બાપુએ કહ્યું, “આ દેશનું સૌભાગ્ય છે કે ઉત્તર પ્રદેશને એક સાધુ મુખ્યમંત્રી મળ્યા છે. તમે સેવાને યજ્ઞ બનાવી દીધો છે. આટલા વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે પણ તમારું અહીં આવવું તમારી ઉદારતા અને ધર્મનિષ્ઠાનું પ્રતીક છે. હું તમને આગ્રહ કરું છું કે જ્યારે પણ તુલસી જયંતિનું આયોજન થાય, ત્યારે તમે સાદર પધારો.”

તુલસી જન્મોત્સવ સમારોહમાં ભક્તિ, વિદ્વાનતા અને આધ્યાત્મિક વિચારોની ત્રિવેણી જોવા મળી. મોરારી બાપુની પ્રેરણાથી આયોજિત તુલસી સાહિત્ય સંગોષ્ઠિમાં દેશના વિવિધ ભાગોમાંથી આવેલા વિદ્વાન ધર્માચાર્યો અને સાહિત્યકારોએ ગોસ્વામી તુલસીદાસજીની કાવ્ય અને આધ્યાત્મિક પરંપરા પર પોતાના વિચારો રજૂ કર્યા.

Related posts

અનંત ભાઈ અંબાણીના લગ્ન: સંસ્કૃતિ અને શક્તિને જોડતી ભવ્ય ઉજવણી

amdavadlive_editor

ભારતમાં પ્રથમ વખત, તાત્યાના નવકાનો વર્લ્ડ ક્લાસ આઈસ શો ‘શેહેરાઝાદે’ અમદાવાદના EKA એરેના ખાતે પહોંચ્યો

amdavadlive_editor

ઑલ ગુજરાત ફેડરેશન ઑફ ટેક્સ કન્સલ્ટન્ટ્સના હોદ્દેદારોની વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માટે નિમણૂંક બાબત

amdavadlive_editor

Leave a Comment