ભાવનગર વિમાન મથક પર વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે વિસ્તર્યું વૃક્ષારોપણ અભિયાન
ગુજરાત, અમદાવાદ ૬ જૂન ૨૦૨૫: ભાવનગર વિમાન મથક પર વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે શ્રી મોરારિબાપુનાં હસ્તે થયેલ વૃક્ષારોપણ સાથે જ વૃક્ષારોપણ અભિયાન વિસ્તર્યું છે.
કથા દ્વારા સનાતન માનસિક શીતળતા આપી રહેલ શ્રી મોરારિબાપુ પર્યાવરણ માટે પણ જાગૃત અને કાર્યરત રહ્યાં છે અને એટલે જ વૃક્ષો માટે રાજકોટમાં રામકથા પણ ગાઈ છે.
વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે ભાવનગરમાં વિમાન મથક પર યોજાયેલ કાર્યક્રમમાં શ્રી મોરારિબાપુનાં હસ્તે વૃક્ષારોપણ થયું, આ સાથે જ શ્રી મોરારિબાપુએ સ્થાનિક સત્તાતંત્ર સાથે સ્વાભાવિક પૃચ્છા કરી આ વિસ્તારની ઘણી જગ્યામાં નિયમાનુસાર વધુ વૃક્ષારોપણ થઈ શકે તેમ હોવાની વાત કરતાં વાતાવરણ બન્યું અને તરત જ વિરાટ વૃક્ષારોપણ અભિયાન ચલાવતાં રાજકોટ સ્થિતિ વૃધ્ધાશ્રમ સંસ્થાનાં સંચાલકોને અહીંથી જ સંપર્ક થયો… અરે એટલું જ નહીં, પર્યાવરણ દિવસ ગુરુવારે આ વાત થઈ અને ( આજ ) શુક્રવારથી વધુ સેંકડો વૃક્ષો માટે અભિયાન આરંભી દેવામાં આવ્યું છે.
શ્રી મોરારિબાપુ એ પર્યાવરણ દિવસનાં વૃક્ષારોપણ કાર્યક્રમ માટે માત્ર પ્રતીક નહીં પ્રેરક બન્યાં અને શ્રી નિલેશ વાવડિયાએ આપેલ વિગતો મુજબ વૃધ્ધાશ્રમ સંસ્થાનાં મોભી શ્રી વિજયભાઈ ડોબરિયા તથા શ્રી મિત્તલભાઈ ખેતાણી દ્વારા તાબડતોબ ૨૪ કલાકથી પણ ઓછા સમયમાં પ્રકૃતિનાં આ કાર્યમાં ગતિવિધિ શરૂ કરી દીધી છે. આમ, વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે નાનકડાં પ્રસંગથી વૃક્ષારોપણ અભિયાન વિસ્તર્યું અને સેંકડો વૃક્ષો રોપાઈ રહ્યાં છે.