સાધુ અમૃતકુંભ નહીં,અમૃતકૂપ છે.
સાધુનો શબ્દ,સ્પર્શ,અંતરંગ સ્વરૂપ,રસયુક્ત વાણી અને નૂરાની ખૂશ્બૂ-અમૃત છે.
*મા અમૃત છે,મા નું વાત્સલ્ય અમૃત છે,મા નાં અશ્રુ અમૃત છે.*
*સાધુના આંસુ પણ અમૃત છે,પછી એ કૃષ્ણ પ્રેમમાં હોય કે પરાઈ પીડામાંથી જનમેલા હોય.* *પૂર્ણતઃઆશ્રિત સાધકનાં આંસુ પણ અમૃત છે.*
તીર્થભૂમિ હરિદ્વારની સમસ્ત ચેતનાઓને વંદન કરતા શુક્રવારે જણાવ્યું કે આપણી ગતિ મૃત્યુથી અમૃત તરફની છે ત્યારે ત્રણ પંક્તિઓ આપણે લીધેલી છે. એમાં ત્રણ વાણી ઉચ્ચારિત થઈ છે.એક છે: નભવાણી.આમ તો વાણીના અન્ય પ્રકારોમાં પરા,પશ્યંતી,મધ્યમાં,વૈખરી આદિ વાણી પણ છે. અહીં ત્રણ પંક્તિમાં ત્રણ પ્રકારની વાણીનો નાદ સંભળાય છે.ગોસ્વામીજીએ એક વાણીને વિરામ પ્રગટ થાય એવી વાણી પણ કીધી છે.દેવવાણી,દાનવ વાણી,માનવ વાણી પણ છે.દેવગુરુ બૃહસ્પતિ, દાનવગુરુ શંકરાચાર્ય અને આપણા બધા,આજનાં જગતગુરુ આપણા આચાર્યોની વાણી.
અહીં પહેલી પંક્તિમાં આકાશવાણી.આકાશનું સંતાન શબ્દ છે.બીજી પંક્તિમાં સાધુવાણી-કૌશલ્યાનાં મુખમાંથી નીકળેલી,કૌશલ્યા સાધુ છે.મા અમૃત છે.મા નું વાત્સલ્ય અમૃત છે. મા નાં અશ્રુ અમૃત છે.સાધુના આંસુ પણ અમૃત છે,પછી એ કૃષ્ણ પ્રેમમાં હોય કે પરાઈ પીડામાંથી જન્મ્યા હોય.પૂર્ણતઃઆશ્રિત સાધકના આંસુ પણ અમૃત છે. કોઈએ પૂછેલું કે તમારો આશ્રમ ક્યો?ગૃહસ્થાશ્રમ મારો આશ્રમ છે.પણ ન સંન્યાસ,ન વાનપ્રસ્થ,ગૃહસ્થ તો છીએ જ.પણ મારો આશ્રમ માત્ર આશ્રય છે. સત્ય,પ્રેમ અને કરુણામાં દ્રઢાશ્રય જ મારો આશ્રમ છે.વણમાગી સલાહ આપું છું કે આશ્રમની વ્યવસ્થા અદ્ભુત છે.બ્રહ્મચર્ય,ગૃહસ્થ,વાનપ્રસ્થ,સન્યાસ એ બધા શાસ્ત્રીય આશ્રમ છે,સાધ્વીય આશ્રમ આશ્રય છે.જલ તત્વ અમૃત છે.આંખના આંસુ હોય,કોઈ કિસાનનાં શરીરમાંથી નીકળેલો પ્રસ્વેદ-પરસેવો કે સાધુના લોહીમાંથી થયેલું પાણી-આ અમૃત છે. યજુર્વેદમાં જળને અમૃત કહ્યું છે એટલે મા ગંગાનું પાણી અમૃત છે.સાધુની બધી જ વસ્તુઓ અમૃત છે. સાધુનો શબ્દ અમૃત છે.આ વાણી ન હોત તો હું જીવતો ન હોત.સાધુનો સ્પર્શ અમૃત છે.
વાલીનાં પ્રહારથી પડી ગયેલા સુગ્રીવને સ્પર્શ કરવામાં રામે જો સમય લગાડ્યો હોત તો સુગ્રીવ મરી જાત. સાધુનું બહીર રૂપ તો પોતાની પરંપરા પ્રમાણે હોય પણ અંતરંગ સ્વરૂપ અમૃત છે.સાધુના મુખથી નીકળેલી રસયુક્ત વાણી,જગ કલ્યાણ માટે જે વાપરે છે-એ રસ અમૃત છે.સાધુની નૂરાની ખુશ્બુ, ડિવાઇન સ્મેલ પણ અમૃત છે.
છાંદોગ્યપનિષદમાં સાધુના મહિમાનું ગાન છે. ભગવાન સાધુના ગુણ ગાતાં ગાતા થાકી ગયાં,શ્રુતિ પણ થાકી જાય છે.સાધુનો મહિમા જોવા માટે તુલસીજીની વૈરાગ્ય સાંદિપનીનાં ત્રણ ભાગ વાંચવા જેમાં એક ભાગમાં સ્વભાવ,એકમાં શાંતિનું વર્ણન છે એ જ રીતે નામ મહિમા જાણવા માટે બર્વે રામાયણનો ઉત્તરકાંડ વાંચવો જોઈએ.
સતયુગનો પ્રભાવ બધા ઉપર થશે પણ સાધુ ઉપર નહીં થાય એવું લખ્યું છે.સાધુ શીલ પકડી રાખે તો દુનિયાભરની વસ્તુઓને સહન કરવાની તાકાત આવે છે.સાધુ અમૃતકુંભ નહીં અમૃતકૂપ છે.સ્મૃતિ આવે ત્યારે પરમાત્મા એની પકડમાં આવી જાય છે. અધ્યાત્મને ક્યારેય વ્યાપાર ન બનાવો.જેની રક્ષા માટે પરમાત્મા અવતાર ધારણ કરે એ સાધુનું મહત્વ કેટલું હશે!નભવાણી એ સત્ય છે,સાધુવાણી પ્રેમ અને પરમાત્માની વાણી-કરુણા છે.
છાંદોગ્યપનિષદ કહે છે સાધુ અને સામ(વેદ)અલગ નથી,એક જ છે.કઠિનમાં કઠિન ભજન પછી પણ સાધુ વિનમ્રતા નથી ખોતો.એ શ્લોક:
*સમસ્તસ્ય ખલુ સામ્ન ઉપાસન સાધુ યત્ખલુ।*
*સાધુ તત્સામેત્યાચક્ષતે યદસાધુ તદસામેતિ।*
*-છાંદોગ્યોપનિષદ(અધ્યાય-૨,ખંડ-૧,શ્લોક-૧)*
અહીં સમસ્ત લક્ષણોમાં શિરમોર લક્ષણ,સાધુનું એ છે કે આટલું બધું ભજન કર્યા પછી પણ નમ્રતા જેના માંથી નથી જાતી એ સાધુ છે.
સાધુની વિનમ્રતા એ એમાં થયેલો વિષ્ણુનો અવતાર છે.જેનું સમસ્ત જીવન જગત કલ્યાણ માટે થયું એવું દેખાય ત્યારે સમજવું શંકર અવતરિત થયો છે.જે રોજ નિત-નૂતન દેખાય,નવું સર્જન કરતો દેખાય એનામાં બ્રહ્મા અવતરિત થયો છે એવું માનવું.ગાય અમૃત છે.ગાયનું દૂધ અમૃત છે.પંચગવ્ય પણ અમૃત છે.
કથાપ્રવાહમાં ક્રમમાં આધ્યાત્મિક ઇતિહાસ બાદ અયોધ્યામાં રામચરિત માનસનું પ્રાગટ્ય,શિવ પાસેથી ઊતરતી-ઊતરતી કથા યાજ્ઞવલ્ક્યથી ભારદ્વાજ પ્રયાગના કુંભમેળામાં આવી,તુલસી પાસે પહોંચી,રામ જન્મનાં કારણો બાદ અયોધ્યામાં રામ પ્રાગટ્યની વધાઇઓ આપી કથાને વિરામ અપાયો.
== સમાપ્ત ==

